બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ અંબાજી મંદિરના ભંડારમાં દાનની રકમની ગણતરી દરમિયાન ચોરીનો પ્રયાસ સામે આવ્યો છે. ગણતરી દરમિયાન હંગામી કર્મચારી દ્વારા રૂ.1.04 લાખનું નોટોનું બંડલ સંતાડીને લઈ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, બાથરૂમ જવાના બહાને બહાર નીકળતી વખતે નોટોનું બંડલ નીચે પડી જતાં સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટી ગયો હતો. ત્યારબાદ મંદિર ટ્રસ્ટ અને પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
અંબાજી મંદિરના ભંડારમાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ, નોટોનું બંડલ પડતાં હંગામી કર્મચારી ઝડપાયો
મળતી માહિતી મુજબ, અંબાજી મંદિરના ભંડારમાં દાનપેટીમાં આવેલી રકમની નિયમિત ગણતરી ચાલી રહી હતી. આ દરમિયાન હંગામી કર્મચારી ચિરાગ ઠાકોરે કથિત રીતે રૂ.1.04 લાખનું નોટોનું બંડલ છૂપાવી રાખ્યું હતું. બાદમાં તે બાથરૂમ જવાના બહાને ગણતરી સ્થળેથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
આ દરમિયાન તેના પાસેથી નોટોનું બંડલ નીચે પડી જતાં ત્યાં હાજર અન્ય કર્મચારીઓની નજર તેના પર પડી હતી. ઘટનાની ગંભીરતા સમજી કર્મચારીઓએ તાત્કાલિક મંદિરના અધિકારીઓને જાણ કરી હતી. ત્યારબાદ સમગ્ર મામલાની જાણ મંદિર ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટરને કરવામાં આવી હતી.
મંદિર ટ્રસ્ટના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મંદિરના અધિક કલેક્ટરે આરોપી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તપાસ દરમિયાન આરોપી પાસેથી રૂ.500ની 208 નોટો મળી આવી હતી, જેની કુલ કિંમત રૂ.1.04 લાખ થાય છે.
સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. ફૂટેજના આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે અને સમગ્ર ઘટનાની તમામ હકીકતોની ચકાસણી કરવામાં આવી રહી છે. પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આ ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં.
અંબાજી મંદિર જેવા મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળે ભંડારની ગણતરી દરમિયાન બનેલી આ ઘટનાએ સુરક્ષા વ્યવસ્થાને લઈને ચર્ચા જગાવી છે. હાલ પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને તપાસ આગળ ધપાવી રહી છે.