અરવલ્લીના સાઠંબા તાલુકાના નવા પીપોદ્રા ગામે જનકલ્યાણના હેતુથી ભવ્ય વિષ્ણુ મહાયાગનું આયોજન કરવામાં આવ્યું હતું. પવિત્ર અધિક માસ નિમિત્તે યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.અધિક માસ એટલે ભગવાન વિષ્ણુને અતિ પ્રિય પુરુષોત્તમ માસ. આ પવિત્ર માસ દરમિયાન ભગવાન વિષ્ણુની આરાધના અને ધાર્મિક અનુષ્ઠાનને વિશેષ મહત્વ આપવામાં આવે છે.ત્યારે સાઠંબા તાલુકાના નવા પીપોદ્રા ગામે જનકલ્યાણના હેતુથી સાબરડેરીના ચેરમેન શામળભાઈ પટેલ પરિવાર દ્વારા ભવ્ય વિષ્ણુ મહાયાગનું આયોજન કરવામાં આવ્યું હતું.વૈદિક ભૂદેવોના મંત્રોચ્ચાર વચ્ચે ભગવાન વિષ્ણુનું પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. યજ્ઞ દરમિયાન પુરુષોત્તમ સ્તોત્રના પાઠ સાથે આહુતિઓ અર્પણ કરવામાં આવી હતી.શાસ્ત્રોક્ત વિધિ મુજબ યોજાયેલા આ મહાયાગમાં સમગ્ર સમાજ અને વિશ્વના કલ્યાણ માટે પ્રાર્થનાઓ કરવામાં આવી હતી.સાંજે યજ્ઞની પૂર્ણાહુતિ સાથે સમગ્ર વિસ્તારમાં ભક્તિ અને આધ્યાત્મિકતાનો માહોલ જોવા મળ્યો હતો.